તાજેતરમાં નવનિર્મિત
ભાજપ સરકારે
યુપીએ સરકાર
દ્વારા નિયુક્તિ
પામેલા રાજ્યપાલો(ગવર્નર)ને ખુરશી ખાલી
કરવા કહ્યું
એટલે રાજ્યપાલોની
જરૂરતનો વિષય
ગરમાયો છે.
ઉત્તરપ્રદેશ અને
છત્તીસગઢના રાજ્યપાલોએ
રાજીનામા આપી
દીધાં છે
તો અન્ય
રાજ્યોના રાજ્યપાલો
આ બાબતે
કચવાટ કરી
રહ્યાં છે.
કોંગ્રેસે ભાજપના
આ આદેશને
આપખુદશાહી ગણાવી
કાગારોળ મચાવી
છે. કોંગ્રેસ
એ સગવડતાપૂર્વક ભૂલી ગઈ
છે કે
૨૦૦૪માં ભારતીય
જનતા પાર્ટીને
હટાવી દિલ્હીમાં
સત્તાનશીન થતાં
જ યુપીએ
સરકારે પહેલું
કામ બિન-કોંગ્રેસ શાસિત
રાજ્યો ગુજરાત,
ઉત્તરપ્રદેશ, હરિયાણા
અને ગોવાના
રાજ્યપાલો(અનુક્રમે
કૈલાસપતિ મિશ્રા,
વિષ્ણુકાંત શાસ્ત્રી,
બાબુ પરમાનંદ
અને કેદારનાથ
સહાની)ને
પદચ્યુત કરવાનું
કર્યું હતું.
આ રીતે
રાજ્યપાલોને નિલંબિત
કરતી વખતે
કંઈક કારણ
આપવું પડે.
યુ.પી.એ.
સરકારે કારણ
આપ્યું હતું
કે, એ
ચારેય રાજ્યપાલો
ભૂતકાળમાં આર.એસ.એસ.
સાથે સંકળાયેલા
હતા.

ભારતના બંધારણ મુજબ
રાજ્યપાલ કોઈપણ
રાજ્યના પ્રથમ
નાગરિક ગણાય.
દેશના રાષ્ટ્રપતિ
દ્વારા નિમણૂક
પામતા રાજ્યપાલનો
હોદ્દો મુખ્યમંત્રી
કરતાંય ઊંચો
ગણાય. રાજ્યપાલનો
હોદ્દો બંધારણીય
ગણાય. રાજ્યપાલ
સરકારના સેવક
નથી. બંધારણ
મુજબ તો
કોઈપણ રાજકીય
પાર્ટી સાથે
સંકળાયેલી વ્યક્તિની
નિમણૂક રાજ્યપાલ
પદે કરી
જ નથી
શકાતી. જોકે
આ આદર્શ
જણાતી રૂપરેખાને
ઘોળીને પી
જવામાં દેશની
તમામ સરકારોને
ફાવટ આવી
ગઈ છે.
કોઈપણ સરકાર
તેના તમામ
નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરી
શકતી નથી.
નાના બચ્ચાને
ખુશ કરવા
લોલિપોપ આપી
દેવામાં આવે
છે એમ
સરકાર-બહાર
રહેલાઓને ‘ગવર્નર’
નામની ચ્યુઇંગમ
ચગળવા આપી
દેવાય છે.

રાજ્યપાલોની ‘સંગીત ખુરશી’ની રમત આમ
પણ ‘આગૂ સે
ચલી આતી’
પરંપરા છે.
ભૂતકાળમાં પણ
રાજ્યપાલોની સામૂહિક
હકાલપટ્ટીના ખેલ
પાર પાડવામાં
આવ્યા હતા.
૧૯૭૭માં ઈન્દિરા
ગાંધીની કોંગ્રેસ
સરકાર ઇમરજન્સીના
પાપે ધબાય
નમઃ થતાં
જનતા પાર્ટી
સત્તા પર
આવી હતી,
જેણે કોંગ્રેસ
સરકારના તમામ
રાજ્યપાલોને ઘરભેગાં
કરી દીધાં
હતાં. આમ
કરવાનું તાર્કિક
કારણ એ
આપવામાં હતું
કે એ
રાજ્યપાલોએ ઇમરજન્સી
દરમિયાન ઈન્દિરા
ગાંધીના ગેરબંધારણીય
કાર્યોમાં સહકાર
આપ્યો હતો.
ખાટલે મોટી ખોડ
એ છે
કે રાજ્યપાલો
ખુદ તેમના
હોદ્દાની ગરિમા
જાળવવામાં ઊણા
ઉતરે છે.
રાજ્યના હિતને
કોરાણે મૂકી
મોટાભાગના રાજ્યપાલ
કેન્દ્ર સરકારના
એજન્ટ બની
રહે છે.
છેલ્લા થોડાં
વર્ષોમાં જે
રાજ્યોમાં કોંગ્રેસની
સરકાર નહોતી
તે રાજ્યોના
રાજ્યપાલોને રાજ્ય
સરકાર સાથે
અવારનવાર ઘર્ષણ
થતું. કોંગ્રેસે
તો પોતાના
વફાદાર નેતાઓના
કાળા-કરતૂત
છુપાવવા માટે
પણ રાજ્યપાલના
હોદ્દાનો દુરુપયોગ
કર્યો છે.
ક્લાસિક ઉદાહરણ
છે શીલા
દીક્ષિતનું. ૨૦૧૦માં
દિલ્હીમાં યોજાયેલો
કોમનવેલ્થ રમતોત્સવ
રમતને બદલે
‘પગ
કરી ગયેલા’
અબજો રૂપિયાને
લીધે યાદ
રહી ગયો
છે. શીલા
દીક્ષિતનું નામ
પણ એ
કૌભાંડમાં ખરડાયેલું
છે. ‘ચાર
દિન કી
ચાંદની’ સમી
આમ આદમી
પાર્ટીની સરકાર
સામે દિલ્હીનું
મુખ્યમંત્રી પદ
ગુમાવી ચૂકેલા
શીલાને કોંગ્રેસે
સિફતતાપૂર્વક કેરાળના
રાજ્યપાલ પદે
બેસાડી દીધાં.
બંધારણ મુજબ
રાજ્યપાલ સામે
કાનૂની કાર્યવાહી
ન થઈ
શકે એટલે
કોમનવેલ્થ કૌભાંડના
કાદવથી ખરડાયેલા
શીલાને કોઈપણ
પ્રકારની તપાસથી
સલામત રાખવાની
મંશાથી જ
તેમને ‘રાતોરાત’
રાજ્યપાલ પદે
બેસાડી દેવામાં
આવ્યા છે.
મોદી સરકાર સાથે
જેમને કદી
નથી ફાવ્યું
એવા ગુજરાતના
રાજ્યપાલ કમલા
બેનિવાલ પણ
ભ્રષ્ટાચારના આરોપથી
ઘેરાયેલા છે.
જયપુરમાં રૂપિયા
૧૦૦૦ કરોડના
જમીન કૌભાંડમાં
તેઓ સંડોવાયેલા
હોવાનો તેમના
પર આરોપ
છે. ગુજરાતનું
રાજ્યપાલ પદ
અત્યાર સુધી
તેમના માટે
સુરક્ષાકવચ બની
રહ્યું છે
પરંતુ નવેમ્બર
૨૦૧૪માં તેમનો
કાર્યકાળ પૂરો
થયા બાદ
તેમનું શું
થશે એ
જાણવું રસપ્રદ
બનશે.
રાજ્યપાલ તરીકે
સૌથી વધુ
ચર્ચામાં કોઈ
રહ્યું હોય
તો એ
છે કર્ણાટકના
રાજ્યપાલ એચ.આર.
ભારદ્વાજ. ૨૦૦૯માં
કેન્દ્રીય કાયદાપ્રધાન
ભારદ્વાજે બહુચર્ચિત
સી.બી.આઈ.ની ઉપરવટ જઈ
‘બોફોર્સ કૌભાંડ’ના મિડલમેન ઇટાલીના
ઓટ્ટાવિયો ક્વાત્રોચીના બે બેંક
એકાઉન્ટ ‘ડિ-ફ્રીઝ’
કરાવી દીધાં
હતાં, જે
બદલ તેમને
ભારે આલોચનાનો
સામનો કરવો
પડ્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી
યેદુરપ્પાના મંત્રીઓ
પર ખનીજોનો
ગેરકાયદે વેપાર
કરવાના આરોપ
લગાવીને પણ
ભારદ્વાજ સમાચારોમાં
રહ્યા હતા.
૨૦૧૧માં તો
તેમણે રાજ્ય
સરકારને અસફળ
ગણાવી કર્ણાટકમાં
રાષ્ટ્રપતિ શાસન
લાગુ પાડવાની
માગ પણ
કરી હતી.
મનમોહન સિંઘના રાજમાં
ગૃહ પ્રધાન
રહેલા શિવરાજ
પાટિલે ૨૦૦૮માં
મુંબઈમાં થયેલા
આતંકવાદી હુમલા
પછી પોતાના
પદ પરથી
રાજીનામું આપવાની
ફરજ પડી
હતી. જોબલેસ
થયેલા પાટિલને
કોંગ્રેસે પંજાબનું
રાજ્યપાલ પદ
આપી ‘સાચવી’ લીધા
હતા.

લાખ રૂપિયાનો સવાલ
એ કે
દેશને રાજ્યપાલોની
જરૂર છે
ખરી? મોટાભાગના
રાજ્યપાલો યુનિવર્સિટીઓમાં ભાષણો આપવા
અને સરકારી
ઈમારતોના ઉદ્ઘાટન પ્રસંગોમાં હાજરી
આપી રિબિનો
કાપવા સિવાય
કંઈ ખાસ
કરતા ન
હોય તો
આ હોદ્દો
બંધારણમાંથી શા
માટે દૂર
ન કરવો
જોઈએ? શોભાના
ગાંઠિયા સમાન
રાજ્યપાલોને જાળવવા
જનતાના કરોડો
રૂપિયાનો ધુમાડો
કરવો અનુચિત
નથી?
જો આ હોદ્દો
જારી રાખવો
હોય તો
આદર્શ પરિસ્થિતિ
એ છે
કે જેમનો
ભૂતકાળ ખરડાયેલો
નથી, જેઓ
કોઈપણ પ્રકારના
કૌભાંડો-ગુનાઓમાં
સંડોવાયેલા નથી
એવા વ્યક્તિઓને
જ રાજ્યપાલ
પદ સોંપવું.
આ માટે
લાયક આઇ.એ.એસ.
ઓફિસર્સ, સેનાના
ઉચ્ચ હોદ્દે
રહી ચૂકેલા
નિવૃત્ત દેશભક્તો
અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાનીઓનો
દેશમાં તોટો
નથી.
રાજ્યપાલની જરૂરત
વિશે પ્રશ્નો
અને કાર્યપદ્ધતિ
પર આંગળીઓ
ઊઠી રહી
છે ત્યારે
એ દિવસો
યાદ આવે
છે જ્યારે
ભારતને સી.
રાજગોપાલચારી અને
સરોજિની નાયડુ
જેવા અસરકારક
અને સન્માનનીય
રાજ્યપાલો મળ્યા
હતા. આશા
રાખીએ કે
મોદી સરકાર
જે નવા
રાજ્યપાલોની નિમણૂક
કરે એ
કમસે કમ
રાજ્યપાલના હોદ્દાની
ગરિમા જાળવે
એવા હોય.
નોંધઃ ૨૫ જૂન ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.